લોકડાઉન દરમિયાન દિવ જિલ્લા માં ૧૮ એપ્રિલથી શિવ ભવાની ટાઇમ્સ દ્વારા પૂરી પાડવામાં આવતી નિશુલ્ક સેવાઓ ની કરવામાં આવી પુર્ણાહુતી
લોકડાઉન દરમિયાન દિવ જિલ્લા માં ૧૮ એપ્રિલથી શિવ ભવાની ટાઇમ્સ દ્વારા પૂરી પાડવામાં આવતી નિશુલ્ક સેવાઓ ની કરવામાં આવી પુર્ણાહુતી. એક મહિના સુધી આ સેવાઓ પહોંચાડવામાં આવી.
દિવ જિલ્લામાં 22મી માર્ચ થી ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉન નો પૂરેપૂરો અમલ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક પ્રશાસન તેમજ પોલીસ તંત્ર ખૂબ જ સતર્કતાથી ભારત સરકારના તમામ સૂચનોનું પાલન કરી રહેલ છે, અને દિવની પ્રજા પણ તેમાં ખૂબ જ સારો સહકાર આપી રહેલ છે. દિવમાં કોરોના રૂપી રાક્ષસનો પ્રવેશ ન થાય તે માટે બહારથી આવનાર વ્યક્તિઓને દિવ જિલ્લાના અલગ અલગ સેન્ટરોમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવતા હતા. આ તમામ ક્વોરેન્ટાઈન સેન્ટરો ઉપર તારીખ 18 એપ્રિલ 2020 થી દિવસ માં બે ટાઈમ ચા-નાસ્તો અને બે ટાઇમ જમવાનું પહોંચાડવાની વ્યવસ્થા શિવ ભવાની ટાઇમ્સના બાહોશ વોરિયર્સ
મહેરુનીશા દલ, ભારતી રાવલ, મિનાક્ષી ગઢવી, ભૌમિક અમૃતલાલ, સેજલ ગોહિલ, જીતેક્ષા સોલંકી, ધૈર્ય ભટ્ટ અને વિજય ગોહિલ દ્વારા કરવામાં આવી રહેલ હતી. છેલ્લા એક માસથી આ સેવા અવિરત પણે ચાલુ રાખવામાં આવેલ હતી. આ ઉપરાંત દિવ જિલ્લામાં સ્વયંસેવક તરીકે સેવા બજાવનાર અને અન્ય કેટલાક કર્મચારીઓ કે જેઓને ફરજિયાત દિવમાં રોકાવાનું થતા તેવાં વ્યક્તિઓને પણ શિવ ભવાની ટાઇમ્સ દ્વારા આ જ પ્રમાણે ની સેવા પહોંચાડવામાં આવતી હતી. શિવ ભવાની ટાઇમ્સ દ્વારા તમામ ખાદ્ય સામગ્રી બંદરચોક મુકામે આવેલ ડી.પી. રેસ્ટોરન્ટમાં પંકજભાઈ તેમજ બળવંતભાઈ ની હાજરીમાં તૈયાર કરવામાં આવતી હતી અને અલગ-અલગ સેન્ટરોમાં નક્કી કરેલ સમય અનુસાર પહોંચાડવામાં આવતી હતી.
દિવ માં શિવ ભવાની ટાઇમ્સ યુ-ટ્યુબ ના માધ્યમથી સ્થાનિક સમાચારો પ્રજા સુધી પહોંચાડવાનું કામ કરે છે અને સાથે-સાથે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે. કોરોનાની મહામારીમાં સરકારશ્રીને મદદરૂપ થવાના આશયથી અગાઉ રૂ.૫૧૦૦૦/- સહાય ફંડમાં આપી ચુકેલ છે અને આવી જ રીતે ભવિષ્યમાં પણ પ્રશાસનને મદદરૂપ થવાની વૃત્તિ સાથે શિવ ભવાની ટાઇમ્સ દિવ પ્રશાસન, પોલીસ તંત્ર, ડી.પી. રેસ્ટોરન્ટ ના તમામ સ્ટાફનો તેમજ જાણે અજાણે આ સેવાના કામમાં સાથ સહકાર આપનાર તમામ વ્યક્તિઓનો આભાર વ્યક્ત કરે છે.
વધુમાં શિવ ભવાની ટાઈમ્સ ના તમામ કર્મચારીઓ એ જણાવેલ કે છેલ્લા એક માસ દરમિયાન તેમના દ્વારા પૂરી પાડવામાં આવતી સેવા કે પ્રવૃત્તિ માં કોઈ ક્ષતિ કે ખામી રહી ગઈ હોય અથવા તો જાણે અજાણે કોઈને દુઃખ પહોંચ્યું હોય તો તેવા સંજોગોમાં દરગુજર કરવા શિવ ભવાની ટાઇમ્સ વિનંતી કરે છે. દિવ પ્રશાસન દ્વારા શિવ ભવાની ટાઈમ્સ પર વિશ્વાસ મૂકીને સેવા પૂરી પાડવાનો મોકો આપવામાં આવ્યો તે બદલ શિવ ભવાની ટાઈમ્સ ના તમામ બાહોશ વોરિયર્સ એ પ્રશાસનને આભાર વ્યક્ત કર્યો.
ભારતી રાવલ, દિવ.