ભરૂચ જિલ્લા કલેકટરશ્રીના સુચારુ સંકલનથી આજે બે દિવસમાં બે ટ્રેન ગોરખપુર અને પૂર્ણિયા માટે દોડી
આજે ભરૂચ ખાતેથી ભરૂચ થી પૂર્ણિયા સુધી ટ્રેન મારફતે ૧૧૯૯ જેટલા વિધાર્થીઓને માદરે વતને મોકલવાની વ્યવસ્થા કરતું જિલ્લા વહીવટીતંત્ર
ઔધોગિક ગઢ એવા ભરૂચ જિલ્લામાં વતન જવા માંગતા શ્રમિકોને ગઇ કાલે અંકલેશ્વર રેલ્વેસ્ટેશનથી અંકલેશ્વર થી ગોરખપુર સુધીની ટ્રેનમાં ૧૨૦૦ જેટલા શ્રમિકોએ વતનની વાટ પકડી હતી. જયારે આજે વહેલી સવારે ભરૂચ રેલ્વેસ્ટેશનથી ભરૂચ થી પૂર્ણિયા જવા માટે ૧૧૯૯ જેટલા વિધાર્થીઓને ટ્રેન ધ્વારા વતન મોકલવાની વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર ધ્વારા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયાના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાંથી વતન જવા માંગતા શ્રમિકોને વહીવટીતંત્ર ધ્વારા ઓનલાઇન મળી રહેલી અરજીઓ પર સુચારુ કામગીરી થઇ રહી છે આ ઉપરાંત રાજય સરકારે સોંપેલી જવાબદારી પ્રમાણે રેલ્વેતંત્ર અને રાજય સરકારો સાથે સુચારુ સંકલન કરીને શ્રમિકો માટે વિશેષ ટ્રેન દોડવવાનું સતત પ્રયાસ કરી રહયા છે. જેમાં રેલ્વે તંત્રનો પણ ઉમદા સહયોગ મળી રહયો છે. છેલ્લા બે દિવસમાં એક અંકલેશ્વર થી ગોરખપુર અને બીજી ભરૂચ થી પૂર્ણિયા ખાતે ટ્રેન દોડાવી ૨૩૯૯ જેટલા શ્રમિકો અને વિધાર્થીઓ પોતાના વતન પહોંચ્યા છે
જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન પ્રમાણે આજે બિહાર રાજયના વતનીઓને લઇને ભરૂચ થી પૂર્ણિયા મોકલવામાં આવેલી ટ્રેનના મુસાફરોને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને નોડલ અધિકારી અને પ્રાંત અધિકારીશ્રીના સંકલન હેઠળ વિધાર્થીઓને સુકોનાસ્તો અને પાણીની બોટલની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે ૧૧૯૯ જેટલા વિધાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવી માસ્ક સાથે ભરૂચ થી પૂર્ણિયા જવા માટેની ટ્રેન પ્રસ્થાન થઇ હતી. આ વેળાએ જિલ્લાના સામાજિક આગેવાનો – અધિકારીઓએ સહુને શુભકામના પાઠવી હતી.
આ પ્રસંગે નિવાસી અધિક કલેકટરશ્રી જે.ડી.પટેલ, જિલ્લા વહીવટીતંત્રની ટીમ સહિત પોલીસ વિભાગના અધિકારીગણ, રેલ્વે તંત્રના અધિકારીગણ, સામાજિક – રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી સરાહનીય કામગીરીમાં જોડાયા હતા.