ભરૂચ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ૬૪ કામો પ્રગતિમાં : ૧૧૩ કામો પૂર્ણ
જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ જળ અભિયાન – ૨૦૨૦ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ
રાજ્ય સરકાર દ્વારા સુફલામ જળ અભિયાન-૨૦૨૦ હેઠળ જળ સંચય જળ સંગ્રહના કામો હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯ માં મળેલ સફળતા બાદ કોરોના સંકટ વચ્ચે પણ ચાલુ વર્ષે સરકારે આ અભિયાન હાથ ધર્યું છે.
જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી – ભરૂચના સભાખંડમાં ભરૂચ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેક્ટરશ્રીએ વિભાગવાર કામોની સમીક્ષા કરી હતી અને દરેક વિભાગને લગતાં કામો વહેલીતકે પૂર્ણ થાય તેવી સૂચના અમલીકરણ અધિકારીઓને આપી હતી.
આ અભિયાન હેઠળ ભરૂચ જિલ્લામાં ૬૨ તળાવ ઊંડા કરવાના, ૧૨ ચેકડેમ ડીસીલટીંગ, ૫૯ કાંસ સાફ-સફાઈ, ૨ નદી સાફ-સફાઈ, ૧૦ ફાર્મ બંડીગ, ૩ ચેકવોલ, ૧૮ ચેકડેમ, ૩ પોન્ડ આઉટલેટ, ૮ વન તલાવડીના કામો સહિત ૧૭૭ કામ શરૂ કરવામાં આવ્યા છે. જે પૈકી ૧૧૩ કામો પૂર્ણ થયેલ છે અને ૬૪ કામો પ્રગતિ હેઠળ છે. સુજલામ સુફલામ યોજના જળ અભિયાન – ૨૦૨૦ અંતર્ગત ભરૂચ જિલ્લામાં વિવિધ કામો પૂર્ણ થવાથી આશરે ૨૧૮ લાખ ઘનફૂટ જળ સંગ્રહ ક્ષમતા વધશે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.ડી.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક્શ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ, સુજલામ સુફલામ જળ અભિયાનના નોડલ અધિકારીશ્રી પઠાણ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને અમલીકરણ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.