પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજી બાવળીયા બનાસકાંઠા જિલ્લાની બે દિવસની મુલાકાતે
આજે મુક્તેશ્વર જળાશય યોજના અને સકલાણા સહિત વડગામના વિવિધ ગામોની મંત્રીશ્રીઅે મુલાકાત લીધી
(માહિતી બ્યુરો, પાલનપુર)
અત્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે લોકોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે પાણી પુરવઠા અને પશુપાલન મંત્રીશ્રી કુંવરજી બાવળીયા બનાસકાંઠા જિલ્લાની બે દિવસની મુલાકાતે આવ્યા છે. મંત્રીશ્રીએ આજે સાંજે મુક્તેશ્વર જળાશય યોજના અને સકલાણા સહિત વડગામ તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લઇ પીવાના અને સિંચાઇના પાણીની જાત માહિતી મેળવી હતી. મંત્રીશ્રીએ કહ્યું કે ઉનાળાની સિઝનમાં લોકોને પીવાના પાણીની કોઇ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આવતી કાલે મંત્રીશ્રી દાંતીવાડા અને પાંથાવાડા ફિલ્ટર પ્લાન્ટ તથા જૂથ યોજનાના કામો અને વાવ થરાદના ગામોની મુલાકાત લેશે.
વડગામ વિસ્તારના આગેવાનોએ રજુઆત કરતા જણાવ્યું કે મુક્તેશ્વર જળાશય અને કર્માવત તળાવ નર્મદાના નીર અથવા સુજલામ સુફલામ યોજનાથી ભરવામાં આવે તો આ વિસ્તારની સિંચાઈની સમસ્યા હલ થાય એમ છે.
મંત્રીશ્રીની મુલાકાત પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી નટુજી ઠાકોર, પાણી પુરવઠાના મુખ્ય ઇજનેરશ્રી પ્રકાશ શાહ, કાર્યપાલક ઇજનેર શ્રી એમ.એમ.ગુપ્તા, જિલ્લા પંચાયતના સભ્યશ્રી અશ્વિન સક્સેના, અગ્રણી શ્રી બાલકૃષ્ણ જીરાલા, પાણી પુરવઠાના અધિકારીઓશ્રી બુંબડીયા, પટેલ, રાઠોડ, વડગામ મામલતદારશ્રી ઠાકોર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.