ભરૂચ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના બિહારના ૧૬૬૦ શ્રમિકોનું વતન તરફ પ્રયાણ
આજ રોજ ભરૂચ રેલ્વે સ્ટેશનથી બિહારના મોતીહારી રેલ્વે સ્ટેશન માટે ઉપાડવામાં આવેલ સ્પેશીયલ ટ્રેનને રવાના કરવામાં આવી હતી. આ ટ્રેનમાં ભરૂચ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના ૧૬૬૦ શ્રમિકો બિહાર ખાતે પોતાના વતન તરફ રવાના થયા હતા.
દરેક શ્રમિકોની આરોગ્ય તપાસ કરાવ્યા બાદ તમામ શ્રમિકોને એસ.ટી. બસ મારફતે ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે તબક્કાવાર લાવવામાં આવ્યા હતા. આ તમામ શ્રમિકોને માસ્ક સાથે સોશ્યલ ડિસ્ટનસીંગ જળવાય તે રીતે ભરૂચ રેલ્વે પ્લેટફોર્મ તેમજ કોચમાં પહોંચાડવામાં આવ્યા હતા. જયાંથી ટ્રેનના આશરે ૨૪ ડબ્બાઓમાં આ તમામ શ્રમિકોને રવાના કરવામાં આવ્યા હતા.
કેન્દ્ર અને રાજ્ય સરકારના સંકલનથી જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ શ્રમિકોને કોઇ તકલીફ ના પડે એની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. શ્રમિકો માટે જિલ્લા વહિવટીતંત્ર આરોગ્ય વિભાગ ધ્વારા શિસ્ત સાથે શ્રમિકોનું તબીબી પરિક્ષણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભરૂચના પ્રાંત અધિકારીશ્રી એન.આર.પ્રજાપતિ, ડીવાયએસપીશ્રી તથા પોલીસ સ્ટાફ, મહેસુલ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ ભરૂચ રેલ્વે સ્ટેશન સુપ્રિટેન્ડન્ટશ્રી અને રેલ્વે પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહયા હતા.